હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી – આનંદી પટેલ

By: Nation Gujarat Team
20 Feb, 2026

ગુજરાતના રાજકારણમાં ઘર કરી ગયેલ જ્ઞાતિવાદ ઉપર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે પ્રહાર કર્યો હતો. સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેતા, આનંદબહેન પટેલે, પાટીદારોની વડી સંસ્થામાંની એક એવી ખોડલધામના પ્રમુખ અનાર પટેલની હાજરીમાં આનંદીબહને પટેલે પટેલવાદને લઈને વાકપ્રહારો કર્યા હતા.

આનંદી બહેનના દીકરી અનાર પટેલની તાજેતરમાં જ ખોડલધામ સંગઠનના અધ્યક્ષપદે નિમણૂંક કરવામાં આવી છે. અનાર પટેલની હાજરીમાં જ, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલે, ગુજરાતમાં ખુબ ચાલી રહેલા પટેલવાદને આડે હાથે લીધો હતો. સુરતમાં યોજાયેલા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા આનંદીબહેને, ગુજરાતના વર્તમાન સામાજિક માળખામાં, ઝડપથી પ્રસરી રહેલા પટેલવાદ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આપણે સૌ ક્યાં સુધી લેઉવા અને કડવા પટેલના નામે વહેંચાયેલા રહીશું ? તેમણે એમ પણ કહ્યું હતું કે, “હું પણ પટેલ છું, અને આ મંચ પર બેઠેલા ઘણા લોકો પણ પટેલ છે. પરંતુ મારા લોહીમાં ક્યાંય પટેલવાદ નથી વહી રહ્યોઆનંદીબહેન પટેલે કહ્યું કે, પટેલ હોવાનુ ગર્વ એ નેતૃત્વ અને સેવા સાથે જોડાયેલો હોવો જોઈએ, નહીં કે જ્ઞાતિવાદના સંકુચિત વાડાઓ સાથે.” તેમણે સ્પષ્ટ કર્યું કે, જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતા બદલવાની હવે જરૂર છે. સામાજીક માળખામાં પણ પટેલવાદ ઘર કરી ગયો છે તે બદલાવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, અનાર પટેલ ગુજરાતમાં ક્રાફ્ટ રૂટ કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે.

આનંદીબહેન પટેલે, સુરતના કાર્યક્રમમાં પટેલવાદને લઈને કરેલ પ્રહારથી, રાજકારણમાં ખાસ કરીને સુરતમાં ઘર કરી ગયેલ જ્ઞાતિવાદને લપડાક મારી છે. ગુજરાતમાં આગામી સમયમાં, સ્થાનિક સ્વરાજ્યની તેમજ મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાવાની છે અને ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદે મજબૂત ઊંડા મૂળિયા વાવ્યા છે. એવા સમયે આનંદીબહેન પટેલે, પટેલવાદ ઉપર કરેલા શાબ્દિક ઘાને ઘણો સુચક માનવામાં આવી રહ્યો છે. ભાજપ, ગુજરાતને રાજકીય લેબોરેટરી માનતું આવ્યું છે. ગુજરાતની ધરતી પર કરેલા પ્રયોગ જો સફળ રહે તો આખા દેશમાં ભાજપ કરતું આવ્યું છે. આવા સમયે, પટેલવાદ ઉપર આવનારા સમયમાં ભાજપ ત્રાટકે તો નવાઈ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલન દ્વારા યુવા નેતા તરીકે ઉભરી આવેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ એક કાર્યક્ર્મમાં પાટીદારકાર્ડનો મુદ્દો છેડ્યો હતો. જેમાં તેમણે પાટીદારનો તેમના મતદારકાર્ડ ગામડામાં જ રાખવા માટે કહ્યું હતું. અને એવો ઈશારો પણ કર્યો હતો કે, જો ગામડાઓમાં પાટીદારો મતદારો હશે તો ઘણુ બધુ કરી શકાશે. આ વાત તમને આજે નહીં, પણ સમય આવ્યે સમજાશે.


Related Posts

Load more